જેનાથી ભય લાગે, જેની નજીક જતા સંકોચ ઉત્પન્ન થાય, જેના પ્રત્યે હૃદય હંમેશા શંકાશીલ રહે કે કોણ જાણે કઈ વાતે ક્રોધીત બની જશે, એવા લોકોને મિત્ર સમજવા જોઈએ નહીં, એ તો માત્ર ઓળખીતા છે. મિત્ર તો એ હોય છે જેની ઉપર દરેક રીતે વિશ્વાસ કરી હૃદય ખોલી શકાય.
જે કોઇપણ પ્રકારનો સ્વાર્થ ન હોવા છતાં મિત્રવત વ્યવહાર કરે છે તે જ ખરા અર્થમાં મિત્ર છે અને મનુષ્યને વિપત્તિ સમયે તે જ આશ્રય આપી શકે છે. (આજ સ્થિતિ સ્વજનોની હિતકારી ભાવનાને સમજવી ઓઈએ)
સંસારમાં મનોકૂળ (હૃદયને સારી લાગે એવી) વાતો કરવાવાળા તો સરળતાથી મળી જાય છે પરંતુ પથ્ય (પરેજી) સમાન મનને પ્રતિકૂળ વાતો કહેનારો હિતચિંતક તેમજ તેને સાંભળી લાભ ઉઠાવનાર ધૈર્યવાન બંને દુર્લભતાથી મળે છે.
મનુષ્યે પોતાના નિર્ધન મિત્ર અથવા હિતકારી સ્વજનનો પણ આદર-સત્કાર ભાવપૂર્વક કરવો જોઈએ. આ સંસારમાં ધન-સંપત્તિ, પ્રભુત્વ તથા ઐશ્વર્ય આજે ગયું તો કાલે ફરી મળી જશે પરંતુ હિતચિંતક મિત્ર અથવા સ્વજન ઘણી જ મુશ્કેલીથી મળે છે. મિત્ર અથવા સ્વજનનું મૂલ્યાંકન એની ઉપયોગીતાના આધારે મૂર્ખ લોકો કરે છે.
જે પોતાના મિત્ર અથવા સ્વજનને ધર્માનુકૂળ વાતો કહેતી વખતે કદી એ વિચાર નથી કરતો કે સાંભળનારના મનોનુકૂળ છે કે નહીં, તે જ માનવી વાસ્તવમાં મિત્ર અથવા હિતેચ્છુ હોય છે.
જે લોકો બુદ્ધિમાન હોય છે તેઓ મનન દ્વારા કોઈની ભાવનાઓની પરિક્ષા કરી, લોકોથી પ્રાપ્ત તથ્યોના આધારે, સ્વયંના અનુભવથી પ્રાપ્ત જાણકારીઓથી જ તેની પ્રવૃત્તિઓને જાણી તેનાથી મિત્રતા કરે છે.
ચંચળ હૃદયવાળા, મૂર્ખ, જ્ઞાનીઓના જ્ઞાનની હાંસી ઉડાવનાર, વૃધ્ધો નજીક થોડો સમય પણ ન બેસનાર, અસ્થિર મગજ્વાળો, અહંકારી, ક્રોધી, દુ:સ્સાહસી, અને અવિવેકી લોકો સાથે બુદ્ધિમાન મનુષ્ય મિત્રતા નથી કરતો. આવો લોકોનો મિત્રવર્ગ પણ તેમની ભાવનાઓ અનુસાર પ્રતિદિન બદલાતો રહે છે. એ લોકો આજે જેને મિત્ર તથા પોતાના કહે છે, આવતીકાલે તેમને જ દુશ્મન માની નિંદા કરતા દૃષ્ટિગોચર થાય છે. આવા માનવીની મિત્રતા તેમજ પોતાપણાનો વિશ્વાસ પણ મૂર્ખ લોકો જ કરે છે.
વિદ્વાનોની સંગતને પસંદ કરનારા, ધાર્મિક પ્રવૃત્તિવાળા, જેમના દર્શનમાત્રથી જ હૃદયને પ્રસન્નતા થાય, જે મધુરભાષી હોય, એવા મિત્રોની સર્વ પ્રકારે રક્ષા કરવી જોઈએ.
જે માનવીઓના હૃદય એકબીજાથી હળીમળી જાય અને બુદ્ધિની સાથે સાથે ગુપ્ત રહસ્યો પણ એક જેવા જ હોય, તેમની મિત્રતા કદી પણ નથી તૂટતી.
બુદ્ધિમાનોએ વિવેકહીન, મૂર્ખ મિત્રથી એવી રીતે બચીને રહેવું જોઈએ જેવી રીતે તૃણ (ઘાસ) થી ઢંકાયેલા કુવાથી લોકો બચીને નીકળી જાય છે. કારણ કે આવા માનવીઓની મિત્રતા નાશ કરી નાખે છે.
Wednesday, 2 April 2014
સાચો મિત્ર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment