Tuesday, 16 February 2016

માતૃપ્રેમની બાબતમાં ગરીબ

આપણા દેશનાં માતા-પિતાને પૂછવામાં આવે કે તમે તમારા સંતાનને શું બનાવવા ઈચ્છો છો તો જવાબ કંઇક આવા જ મળશે…. ડોકટર, વકીલ, એન્જીનીયર, ચાર્ટડ એકાઉટન્ટ, ડીઝાઈનર. ભાગ્યે જ કોઈ મા – બાપ એવા હશે કે એવો જવાબ આપશે કે “હું મારા પુત્ર-પુત્રીને સૈનિક બનાવવા ઈચ્છું છું.” બધા જ માતા-પિતા, પુત્ર કે પુત્રી ખુશ રહે તેવું ઇચ્છતાં હોય છે. પણ જો સેનિક બને તો સરહદ પર કઠોર પરિસ્થિતિમાં રહેવું પડે. ઘરથી, સગાં-સબંધીઓથી દૂર જવું પડે, ઉપરાંત સરહદ પર જાનનું જોખમ પણ ખરું! એટલે બધા મા-બાપ એવું ઈચ્છે છે કે પોતાના સંતાન સારી એવી જોબ મળે અથવા બિઝનસ કરે, એર-ક્ન્ડીશનીંગ વાળી ઓફિસમાં કામ કરે, એકાદ સારી એવી ફોર-વ્હીલ હોય. બધા જ માતા-પિતા પોતાના સંતાન માટે સુખ-શાંતિ ઈચ્છતા હોય છે, પણ આ પરિસ્થિતિને બીજી રીતે વિચારવામાં આવે તો શું સરહદ પર જે સૈનિક લડત આપે છે તેને તેમનાં માતા-પિતા પ્રેમ નહીં કરતા હોય? સૈનિકના માતા-પિતા તેને ખુશ જોવા નહીં ઈચ્છાતા હોય? માતા-પિતા તેમનું ભાવિ સારું જ ઈચ્છાતા હોય છે પણ માતૃભૂમિનું કરજ ચૂકવવા પોતાનાં હ્રદયને પથ્થર બનાવી લાગણીઓ પર અંકુશ રાખી તેઓ પોતાનાં સંતાનને માતૃભૂમિની રક્ષા કરવા મોકલે છે. બીજી બાજુ જે માતા-પિતાનાં સંતાનો ડોકટર, વકીલ, ડીઝાઈનર બની જાય છે તે જવલ્લે જ સાચાં દેશ-ભક્ત બને છે. ૧૫ ઓગષ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવાં રાષ્ટ્રીય પર્વના દિવસે જોવાં મળતી જૂજ હાજરી આ સાતત્ય ને સાકાર કરે છે. આપણે આપણા સંતાનોને એવા આળસુ બનાવી દીધા છે કે તે દેશની રક્ષા તો નથી જ કરી શકતાં, પણ જે લોકોએ દેશની રક્ષા કરી હતી અને જે દેશની રક્ષા કરી રહયાં છે એમની યાદમાં સલામી આપવા આપવાની દરકાર પણ નથી કરી શક્તા. આવા સંતાનો ભલે ગમે તેટલાં ધનવાન થઇ જાય પણ માતૃપ્રેમની બાબતમાં ગરીબ જ રહેશે.

No comments:

Post a Comment